ગણપતી ઉત્સવ’ – બળે છે મારું કાળજું – સાંઈરામ દવે

ગણપતી ઉત્સવ’ – બળે છે મારું કાળજું

– સાંઈરામ દવે

હે મારા પ્રીય ગણપતીપ્રેમી ભકતો,
Image result for sairam dave
હું આજે તમને ફેસબૂક,વૉટ્સએપ અને ઈ.મેલ કરવા બેઠો છું. તમારા સુધી કોઈક તો પહોંચાડશે જ એવી આશા સાથે. તમે લોકો છેલ્લાં ઘણાં વર્ષોથી ‘ગણપતી ઉત્સવ‘ ઉજવો છો એનાથી હું આમ તો ખુબ રાજી છું; પરન્તુ છેલ્લાં 10 વરસના ઑવરડોઝથી મારું કાળજું બળે છે. માટે જ આ લખવા પ્રેરાયો છું. તમને યાદ તો છે ને કે ઈ.સ. 14મી સદીમાં સન્ત મોર્ય ગોસાવીએ પુણે પાસે મોરગાવમાં મારું પ્રથમ મન્દીર ‘મોર્યેશ્વર‘ બનાવ્યું હતું. ત્યારથી લોકો ગણપતીબાપા મોર્યને બદલે ‘મોરીયા’ બોલતા થયા. તમે ભુલી ગયા કે મુગલો સામે હીન્દુત્વને એકઠું કરવા ઈ.સ. 1749માં શીવાજી મહારાજે કુળદેવતા તરીકે ગણપતીને સ્થાપી પુજા શરુ કરાવી. તમને યાદ જ હશે કે ઈ.સ. 1893માં બાળ ગંગાધર તીલકે મુમ્બઈના ગીરગાંવમાં સાર્વજનીક ગણેશ ઉત્સવથી અંગ્રેજો સામે ભારતને સંગઠીત કરવા આ ઉત્સવને ગરીમા બક્ષી. વળી, પુણેમાં દગડુ શેઠે ઘરમાં મારી પધરામણી કરાવી, ત્યારથી દગડુશેઠ તરીકે મને પ્રસીદ્ધી મળી.
Image result for ganpati  pandal

મારા આ ઉત્સવ સાથે ભારતને એક કરીને જગાડવાના કામના શ્રી ગણેશ ટીળકજીએ માંડ્યા’તા; પણ તમે લોકોએ હવે મારો તમાશો કરી નાંખ્યો છે. અરે યાર, શેરીએ–શેરીએ ગણપતીની પધરામણી કરો છો, તમારી શ્રદ્ધાને વન્દન; પરન્તુ એકબીજાને બતાવી દેવા, સ્પર્ધા કરવા? તમે લોકો તો મારા નામે ‘શક્તી–પ્રદર્શન‘ કરવા લાગ્યા છો. આ ઉત્સવથી ભારતનું ભલું થાય એમ હતું. એટલે આજ સુધી મેં આ બધું ચાલવા દીધું છે. આ ગણપતી ઉત્સવનો સોસાયટીઓની ડૅકોરેશન કે જમણવારની હરીફાઈઓ માટે હરગીજ નથી. જેમને ખુરશી સીવાય બીજા એક પણ દેવતા સાથે લેવા–દેવા નથી તેઓ મારા ઉત્સવો શા માટે ઉજવી રહ્યા છે? આઈ એમ હર્ટ પ્લીઝ, મારા વહાલા ભકતો, સમ્પતીનો આ વ્યય મારાથી જોવાતો નથી.

આખા દેશમાં ગણપતી ઉત્સવ દરમ્યાન અગરબત્તીની દુકાનમાં લાઈન, મીઠાઈની દુકાનમાં લાઈન, ફુલવાળાને ત્યાં લાઈન અરે યાર, આ બધું શું જરુરી છે? માર્કેટની ડીમાન્ડને પહોંચી વળવા નકલી દુધ કે માવાની મીઠાઈઓ ડેરીવાળા પબ્લીકને ભટકાવે છે અને પબ્લીક મને પધરાવે છે. હવે મારે ઈ ડુપ્લીકેટ લાડુ ખાઈને આશીર્વાદ કોને આપવા અને શ્રાપ કોને આપવા, કહો મને?

Image result for ganpati  pandal

શ્રદ્ધાના આ અતીરેકથી હું ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું. એક ગામ કે શહેરમાં50 કે 100 ગણપતી ઉજવાય એના કરતાં આખું ગામ કે શહેર કે બધી સોસાયટીઓ ભેગા મળીને ‘એક ગણપતી‘ ઉજવો તો સંત મોર્ય ગોસાવીનો, બાળ ગંગાધર ટીળકનો કે દગડુશેઠ અને શીવાજી મહારાજનો હેતુ સાર્થક થશે અને હું પણ રાજી..

હે… વહાલા ગણેશભકતો, હું તમારું ઍન્ટરટેઈનમેન્ટ નથી, હું તમારા દરેક શુભ કાર્યની શરુઆતનો નીમીત્ત છું, અને તમે મારા ઉત્સવોથી મને જ ગોટે ચડાવી દીધો છે. હું દરેક ભક્તની વાત અને સુખ–દુઃખને ‘સાગરપેટો‘ બનીને સાચવી શકું તે માટે મેં મોટું પેટ રાખ્યું છે; પરન્તુ તમે તો મોટા પેટનું કારણ ભુખ સમજીને મારા નામે તમે લોકો લાડવા દાબવા માંડ્યા. મેં મોટા કાન રાખ્યા જેથી હું દરેક ભકતની ઝીણામાં ઝીણી વાત પણ સાંભળી શકું; પરન્તુ તમે લોકો તો 40000 વૉટની ડી. જે. સીસ્ટમ લગાડીને મારા કાન પકાવવા લાગ્યા છો. મેં ઝીણી આંખો રાખી જેથી હું ઝીણા ભ્રષ્ટાચાર કે અનીષ્ટને પણ જોઈ શકું; પરન્તુ તમે તો તે ભ્રષ્ટાચારીઓ પાસેથી જ ફાળો ઉઘરાવાને મારી આરતી ઉતરાવો છો.
Image result for ganpati  pandal

નવરાત્રીને તો તમે અભડાવી નાખી, હવે ગણેશ ઉત્સવને ડાન્સ કે ડીસ્કો પાર્ટી ન બનાવો તો સારું. માતાજીએ તમને માફ કર્યા હશે; પણ મને ગુસ્સો આવશે ને તો સુંઢભેગા સાગમટે પાડી દઈશ. ઈટસ અ વોર્નીંગ. કંઈક તો વીચાર કરો. ચીક્કાર દારુ પીને મારી યાત્રામાં ડીસ્કો કરતાં તમને શરમ નથી આવતી? વ્યસનીઓએ ગણપતીબાપા મોરીયા નહીં; પણ ગણપતીબાપા ‘નો–રીયા‘ બોલવું જોઈએ.

કરોડો રુપીયામાં મારા ઘરેણાંની હરાજી કરી લેવાથી હું પ્રસન્ન થઈ જાઉં એમ? હું કાંઈ ફુલણશી છું કે લાખોની મેદની જોઈને હરખઘેલો થઈ જાઉં? અરે, મારા ચરણે એક લાખ ભકતો ભલે ન આવે; પણ એકાદ સાચો ભકત દીલમાં સાચી શ્રદ્ધા લઈને આવશે ને તો ય હું રાજી થઈ જઈશ. લાડુના ઢગલા મારી સામે કરીને અન્નનો અતીરેક કરવા કરતાં ઝુંપડપટ્ટીના કોઈ ભુખ્યા બાળકને જમાડી દો, મને પહોંચી જશે. મારા નામે આ દેખાડો થોડો ઓછો કરો. વહાલા ભક્તો, જે દરીયાએ અનેક ઔષધીઓ અને સમ્પત્તી તમને આપી છે એમાં જ મને પધરાવી દઈને પર્યાવરણનો કચ્ચરઘાણ વાળતાં સહેજ પણ વીચાર નથી કરતાં? ઈકોફ્રેન્ડલી ગણપતી બનાવવામાં તમને વાંધો શું છે? મારું વીસર્જન પણ કોઈ ગરીબના ઝુંપડાનું અજવાળું થાય એવું ન કરી શકો?


Image result for ganpati  pandal
આ ગણપતી ઉત્સવે મારી છેલ્લી એક વાત માનશો? મારા નામે દાન કરવાની નક્કી કરેલી રકમનો એક નાનકડા ભાગથી કોઈ ગરીબનાં છોકરા–છોકરીની સ્કુલની ફી ભરી દો તો મારું અન્તર રાજી થશે. આ સમ્પત્તીનો વીવેકપુર્વક ઉપયોગ કરો. ભારતમાં જન્મેલો પ્રત્યેક નાગરીક આ ગણપતી ઉત્સવે ભારતને વફાદાર રહેવાના સોગંદ લે અને ભારતનો દરેક યુવાન, માવા, ફાકી, ગુટખા, દારુ અને તીનપત્તીમાંથી બહાર નીકળવાની કસમ ખાય અને દરેક દીકરીઓ ફેશનના સફોકેશનમાંથી બહાર નીકળવાની પ્રતીજ્ઞા લે તો જ આવતા વર્ષે આવીશ. બાકી મારા નામે છુટા પાડવાનું છેતરવાનું અને દેવી–દેવતાઓને ઈમોશનલી બ્લેક મેઈલીંગ કરવાનું બન્ધ કરો.

કદાચ છેલ્લીવાર ભારત આવેલો તમારો જ,

લી. ગણેશ

‘મહાદેવ‘ કૈલાશ પર્વત, સ્વર્ગલોકની બાજુમાં.

લેખક સમ્પર્ક :

શ્રી. સાંઈરામ દવે – લોક સાહીત્યકાર અને હાસ્યકલાકાર

Comments