નવરોઝ મુબારક …ગુણવંતી ગુજરાત ……
આજે તો છે પતેતી. એટ્લે આપણા પારસી ભાઈ-બહેનોનું નવું વર્ષ.તો સૌ પારસી ભાઈ-બેનોને મારા તરફથી નવરોજ મુબારક.તો ચાલે આજે દુધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી લોકોના આગમનની કથા જે પાઠ્યક્રમમાં આવતી હતી તે મમળાવીએ તથા થોડી માહિતી પણ મેળવીએ.
પારસી કોમમાં પતેતીનો તહેવાર એ વિક્રમ સંવતની દિવાળીની જેમ વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. પતેતી એટલે પશ્ચાતાપ કરવો. અવેસ્તામાં પતેતનું ભણતર હોય છે. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરીને શુદ્ધ થવાનું હોય છે. એના પછીનો દિવસ નવું વર્ષ એટલે નવરોઝ કહેવાય છે.
પારસીઓ એમના આ નૂતન વર્ષે નવરોઝ મુબારક કહે છે. જરથોસ્તી ધર્મના છેલ્લા રાજાનું નામ યઝદઝદ હતું. તે માયાળુ, પ્રજાવત્સલ રાજા હતો. પણ આરબોના આક્રમણનો તે સામનો ના કરી શકયો. તેને મારી નાખવામાં આવ્યો. પણ વિક્રમ રાજાની જેમ તેની યાદગીરીમાં યદઝર્દી સંવત શરૂ થઈ. હવે તેનું ૧૩૭૭મું વર્ષ શરૂ થયું. આમેય પારસીઓના ભારત વસવાટને ૧૩૫૦ વર્ષ થાય છે.
નવરોઝ નિમિત્તે પારસીઓ રંગબેરંગી વસ્ત્રોમાં સજજ થાય છે. આનંદ-ઉલ્લાસમાં રહીને નવું વર્ષ ઊજવે છે. ગુજરાતી વાતાવરણમાં ગોઠવાઈ જઈને તેઓ કાર્ડ લખે છે અને એકબીજાને ત્યાં મળવા જાય છે. તેઓ આતશ-બહેરામમાં, અગિયારીમાં જાય છે. ત્યાં સુખડનાં લાકડાં અર્પે છે. નવા વર્ષની મંગલકામનાઓ સાથે પ્રાર્થના કરે છે. આ પ્રસંગે જરથોસ્તી ધર્મ, એના ધર્મસ્થાપક, આ ધર્મના સિદ્ધાંતો વગેરે જાણવું જરૂરી છે.
“ઇરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવું અશકય લાગતાં આશરે ૧૩૫૦ વર્ષ પહેલાં પારસીઓ ભારતમાં આવ્યા. ભારત સાથેના વેપારને લીધે તેઓ ભારત વિશે જાણતા હતા. તેથી સૌપ્રથમ તેઓ ઇ.સ. ૭૬૬ની આસપાસ દીવ બંદરે ઉતર્યા. જયાં તેમણે ૧૯ વર્ષ ગાળ્યાં. ત્યાં પોર્ટુગીઝોના હુમલાથી કંટાળીને ઇ.સ. ૭૮૫માં દરિયાઈ માર્ગે સંજાણ બંદરેઉતર્યા.
આ વખતે ગુજરાતમાં જાદી રાણાનું રાજ હતું. પારસીઓના વડાએ રાજયાશ્રય માટે રાણા પાસે પ્રતિનિધિમંડળ મોકલ્યું. રાણાએ પ્રત્યુત્તર રૂપે દૂધથી ભરેલો છલોછલ પ્યાલો મોકલ્યો. આ દ્વારા રાણા એ સૂચવવા માગતા હતા કે અમારી વસતી વધારે છે એટલે અમે તમને વસાવી શકીએ તેમ નથી. પ્યાલો લઈને પ્રતિનિધિમંડળ એમના અગ્રણી પાસે પહોંરયું. તેઓ સમજદાર હતા. તેમણે પ્યાલામાં ધીરે ધીરે સાકર ભેળવી. તે ઓગળી ગઈ.
તે જ પ્યાલો લઈને ફરીથી પ્રતિનિધિમંડળને રાણા પાસે મોકલ્યું. રાણો ચતુર હતો. એણે દૂધ ચાખી જૉયું તો દૂધ મીઠું લાગ્યું. રાણાને પ્રત્યુત્તર મળી ગયો કે અમે અહીં દૂધમાં સાકરની પેઠે ભળી જઈશું.’ રાણાએ એમને વસવાટની છૂટ આપી.”
પારસીઓ ઇરાનથી જે પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા તેની ઉદવાડામાં સ્થાપના કરી. જેને આતશ બહેરામ કહેવામાં આવે છે. ભારતમાં આઠ આતશ બહેરામ છે. ૧ ઉદવાડામાં, ૨ સુરતમાં, ૧ નવસારીમાં અને ૪ મુંબઈમાં. આતશ બહેરામના દરજજા અલગ અલગ હોય છે. અગ્નિસ્થાનનેઅગિયારી કહેવાય છે.
અમદાવાદમાં ખમાસા ગેટ પાસે અને કાંકરિયા રોડ ઉપર એમ બે અગિયારી છે. તેઓ ગુજરાતમાં નવસારી, સુરત, વલસાડમાં વસ્યા. ત્યારબાદ ખંભાત, ભરૂચ, અંકલેશ્વર, મુંબઈ અને પુનામાં વસ્યા. પછીથી તો તેઓ ભારતભરમાં વસ્યા. કેનેડામાં ટોરોન્ટોમાં પણ મોટી સંખ્યામાં પારસીઓ છે.
હિન્દુ ધર્મમાં જેમ જનોઈની વિધિ છે તેના જેવી પારસીઓમં કુમાર-કુમારીઓ દરેકને માટે નવજૉતની વિધિ છે. જરથોસ્તી ધર્મ પાળનારે સત્ય બોલવું અનિવાર્ય છે. સાયરસે માનવ અધિકારોની હિમાયત કરી જેની વિગતો યુનોમાં છે. ફિરદોસે શ્નશાહનામા’માં જરથોસ્તી ધર્મની એટલી પ્રશંસા કરી કે તેના મૃત્યુ વખતે લોકો કહેવા લાગ્યા કે તે જરથોસ્તી બની ગયો છે. પારસીઓનો ધર્મ એટલે જરથોસ્તી ધર્મ. જેની સ્થાપના ઇ.સ. પૂર્વે ૫૯૦ની આસપાસ ગુરુ અષો જરથુષ્ટ્રે કરી હતી.
અષો જરથુષ્ટ્રનો જન્મ ઇ.સ. પૂર્વે ૬૦૦ની આસપાસ ઇરાનના આઝર બેઇજાન નામના પ્રાંતમાં થયો હતો. અષો જરથુષ્ટ્ર જન્મ વખતે રડયા નહોતા પણ હસતા હતા તેથી ઇરાનના ધર્મગુરુ મેજાઈ દુરાસરુને બાલ્યાવસ્થામાં જ અષો જરથુષ્ટ્રને મારી નાખવાના અનેક પ્રયાસો કર્યા પણ તેમાં તેઓ સુરક્ષતિ રહ્યા.
તેમણે પ્રભાવશાળી ગુરુના સાંનિઘ્યમાં વિધાભ્યાસનો પ્રારંભ કર્યો. તે વખતે રૂઢિચુસ્ત સમાજ હતો જયારે અષો જરથુષ્ટ્ર ક્રાંતિકારી હતા. તેમણે પત્નીની પસંદગી સ્વયં કરી. એમનાં પત્ની હવોવીથીએ ત્રણ પુત્રો અને પુત્રીઓને જન્મ આપ્યો હતો.ઈશ્વરપ્રાપ્તિ એમના જીવનનું એક માત્ર લક્ષ્ય બની રહ્યું. જેઓ નિર્જન પહાડો ઉપર જતા. ત્યાં બેસીને અનેક કલાકો સુધી ચિંતન કરતા. આમ અનેક મહિનાઓ વીતી ગયા. ધીરજ ખૂટવા લાગી. નિરાશા ધેરી વળે તેવું લાગ્યું. એવામાં સાયંકાળે અસ્તાચળે જતા સૂર્યે એમનેજ્ઞાનનો પ્રકાશ આપ્યો. ઈશ્વર-અહુરમઝદે દર્શન આપ્યાં. અહુરમઝદે અષો જરથુષ્ટ્રને વરદાન માગવા કહ્યું તો અષો જરથુષ્ટ્રે પવિત્રતાની માગણી કરી. આમ અષો એટલે પવિત્ર જરથુષ્ટ્ર બન્યા. જ્ઞાનપ્રાપ્તિ પછી એમણે ધર્મપ્રચારનું કાર્ય આરંભ્યું. પ્રારંભમાં તેમને એક શિષ્ય મળ્યો. પછી રાજયાશ્રય પણ મળ્યો. ૪૭ વર્ષ સુધી ધર્મસ્થાપક તરીકે એમણે ઈરાનમાં જરથોસ્તી ધર્મની જયોત જલાવી રાખી. ૭૭ વર્ષની વયે જયારે તેઓ બંદગી કરતા હતા ત્યારે તુરાની દુરાસરૂન સૈનિકે એમની પીઠ પાછળ ઘા કર્યોજેથી એમનું મૃત્યુ થયું.
જરથોસ્તી ધર્મને જાણવા જેવો છે. તેમના ધર્મગ્રંથનું નામ અવેસ્તા છે. જરથોસ્તી ધર્મ એકેશ્વરવાદને માને છે. તેના કર્મના સિદ્ધાંતો ખિ્રસ્તી ધર્મને મળતા આવે છે. રાષ્ટ્રપ્રેમ, સાદાઈ, સેવા પરાયણતા, પવિત્રતાના ગુણો ધારણ કરવાનું કહે છે. તેઓ અગ્નિને પૂજે છે તેથી સૂર્યોદય પહેલાં ઊઠે છે એટલે તેઓ સમૃદ્ધ છે. મન, વાણી અને કર્મની એકરૂપતા તેમને પ્રિય છે. દુષ્ટને પણ સદ્ગુણી બનાવવાની શુભ ભાવના રાખે છે. દુશ્મનને મિત્ર બનાવે છે. સમાજસુધારણાને તેઓ માને છે. તેમની વાણીની મીઠાશ, સભ્યતા અને સ્વરછતા પ્રશંસનીય છે. ગુજરાતને તેમણે શ્નસાલમુબારક’ શબ્દ આપ્યો.
પારસીઓ આપણા સમાજના અંગ રૂપ બની ગયા છે. તેઓ સાલસ છે. સંઘર્ષ કરતાં સમાધાન કરવામાં માને છે. તેઓ નિરુપદ્રવી છે. આ કોમમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રે વિરલ વિભૂતિઓ થઈ છે. દાદાભાઈ નવરોજી, ફિરોઝશા મહેતા, મીઠું બહેન પિટીટ, વીર નરિમાન, માદામ ભીખાઈજી કામા જેવા સ્વાતંત્ર્યસંગ્રામના અગ્રણીઓ, જમશેદજી તાતા, જમશેદજી જીજીભાઈ, લવજીનસરવાનજી વાડિયા, રતન તાતા, ગોદરેજ જેવા ઉધોગપતિઓ, ડૉ. હોમી ભાભા, ડૉ. હોમી એન. શેઠના જેવા વૈજ્ઞાનિકો, નાની પાલખીવાલા અને સોલી સોરાબજી, શેઠના જેવા પ્રખર કાયદાશાસ્ત્રી, બૌદ્ધિકો જેવી વિભૂતિઓથી પારસી કોમે વિશ્વમાં નામ રોશન કર્યું છે. આપણે સૌ પતેતી-નવરોઝના પાવનપર્વ નિમિત્તે દેશ-વિદેશમાં વસતા સમગ્ર પારસી સમાજને અંતરમનની શુભકામનાઓ પાઠવીએ છીએ.
તો આજે પ્રસ્તુત છે એક પારસી કવિ અરદેશર ફ. ખબરદાર ‘અદલ’ની જ એક રચના ગુજરાતની ગૌરવગાથા ગાતી અને મેહુલભાઈ દ્વારા ગુજરાત સ્થાપના દિન પર રજૂ કરાયેલ આ રચના જેમા શાસ્ત્રીય સંગીત પણ વણી લેવાયું છે.તો માણૉ ….
ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત
નમીએ નમીએ માત અમારી ગુણવંતી ગુજરાત
ગુણવંતી ગુજરાત….
નમીએ નમીએ માત અમારી ગુણવંતી ગુજરાત
ગુણવંતી ગુજરાત….
સંત મહંત અનંત વીરોની વ્હાલી અમારી માત
જય જય કરવા તારી જગમાં અર્પણ કરીએ જાત
ગુણવંતી ગુજરાત….
જય જય કરવા તારી જગમાં અર્પણ કરીએ જાત
ગુણવંતી ગુજરાત….
ઉર પ્રભાત સમા અજવાળી ટાળીદો અંધાર
એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જયજયકાર
ગુણવંતી ગુજરાત….
એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જયજયકાર
ગુણવંતી ગુજરાત….
————————————


Comments
Post a Comment