મહાદેવભાઈ દેસાઈ જીવન ઝરમર

મહાદેવભાઈ દેસાઈ (૧ જાન્યુઆરી, ૧૮૯૨ - ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૨) સ્વતંત્રતા સેનાની અને પ્રખર રાષ્ટ્રવાદી તેમ જ લેખક હતા.તેઓ મહાત્મા ગાંધીનાં અંગત મદદનીશ તરીકે વધુ જાણીતા થયા.

Image result for મહાદેવ દેસાઈ

સવિશેષ પરિચય

દેસાઈ મહાદેવ હરિભાઈ, ‘ત્રિલોચન’ (૧-૧-૧૮૯૨, ૧૫-૮-૧૯૪૨): ચરિત્રલેખક, ડાયરીલેખક, અનુવાદક. જન્મ સરસ (મુળગામ દિહેણ) (જિ. સુરત)માં. પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં. માધ્યમિક શિક્ષણ સુરતમાં ને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં. બી.એ. એલએલ. બી. થઈ અમદાવાદમાં વકીલાતનો આરંભ કરેલો પણ સફળ ન થતાં સરકારી ખાતામાં જોડાયેલા. ત્યારબાદ ગાંધીજીથી પ્રભાવિત થઈને ૧૯૧૭ થી તેમના અંતેવાસી. સાહિત્ય અકાદમીનો ૧૯૫૫નો પુરસ્કાર. કારાવાસમાં હૃદય બંધ પડવાથી પૂના ખાતે અવસાન.


મહાદેવભાઈ દેસાઈ (ડાબી બાજુની વ્યક્તિ) ગાંધીજીને બિરલા ભવન ખાતે મુંબઇથી મોકલાયેલો, વાઇસરોયનો પત્ર, 
એપ્રિલ ૭, ૧૯૩૯ના દિવસે વાંચી સંભળાવ્યો હતો, એ વેળાની તસવીર.
‘અંત્યજ સાધુનંદ’ (૧૯૨૫), ‘વીર વલ્લભભાઈ’ (૧૯૨૮), ‘સંત ફ્રાંસિસ’ (૧૯૨૪) અને ‘બે ખુદાઈ ખિદમતગાર’ (૧૯૩૬) એમના ચરિત્રગ્રંથો છે. ‘મૌલાના અબ્દુલકલામ આઝાદ’ (ચંદ્રશેખર શુક્લ સાથે, ૧૯૪૬)પણ એમનો ચરિત્રગ્રંથ છે. સ્વરાજ આંદોલન નિમિત્તે એમણે લખેલા ગ્રંથો પૈકી ‘એક ધર્મયુદ્ધ’ (૧૯૨૩)માં અમદાવાદની મિલમજૂરોની લડતનો ઇતિહાસ આલેખાયેલો છે; ‘બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ’ (૧૯૨૮) અને ‘ગોખલેનાં વ્યાખ્યાનો’ (૧૯૧૬) પણ હકીકતોને ભાવવાહી રીતે રજૂ કરતા હોઈ ધ્યાનાર્હ છે. બારમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી આપેલું વ્યાખ્યાન ‘વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકો’ (૧૯૩૬) એમની સ્વાધ્યાયનિષ્ઠાના ઉદાહરણરૂપ છે. ‘તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો’ (નરહરિ પરીખ સાથે, ૧૯૩૭) તથા ‘ખેતીની જમીન’ (માર્તન્ડ પંડ્યા સાથે, ૧૯૪૨) એમના એ વિષયના પ્રકીર્ણ ગ્રંથો છે.

Image result for મહાદેવ દેસાઈ
આ ઉપરાંત તેઓ વિશેષ જાણીતા છે એમના ડાયરીલેખનને કારણે. ૧૯૪૮માં ‘મહાદેવભાઈની ડાયરી’ – ભા. ૧ પ્રકાશિત થયા પછી ક્રમશઃ ૧૯૮૦માં ભા. ૧૭ પ્રકાશિત થયેલો છે. ખાસ કરીને ગાંધીજીની દિનચર્યા-જીવનચર્યાને આલેખતી આ ડાયરી મહાદેવભાઈની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને ભાવવાહી રસળતી શૈલીની અભિવ્યક્તિશક્તિનું ઉદાહરણ છે.

‘ચિત્રાંગદા’ (૧૯૧૫), ‘પ્રાચીન સાહિત્ય’ (નરહરિ પરીખ સાથે, ૧૯૨૨), ‘ત્રણ વાર્તાઓ’ (૧૯૨૩) અને ‘વિરાજવહુ’ (૧૯૨૪) એમના અનુવાદો છે. ‘મારી જીવનકથા’ (૧૯૩૬) જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ છે. મૂળ ભાવ ક્યાંય ખંડિત ન થાય એની પૂરી કાળજી રાખીને રસળતી શૈલીમાં તેઓએ કરેલા આ અનુવાદો લોકપ્રિય નીવડેલા છે. ‘ગાંધીજી ઈન ઇન્ડિયન વિલેજીસ’ (૧૯૨૭), ‘વીથ ગાંધીજી ઈન સિલોન’ (૧૯૨૮), ‘ધ સ્ટોરી ઑવ બારડોલી’ (૧૯૨૧), ‘અનવર્ધી ઑવ વર્ધા’ (૧૯૫૩) જેવા એમના અંગ્રેજી ગ્રંથોમાં અંગ્રેજી ભાષા પરના એમના પ્રભુત્વનો પરિચય મળી રહે છે. ઉપરાંત, ગાંધીજીના પુસ્તકોના અને વ્યાખ્યાનોના એમણે કરેલા ઘણા અંગ્રેજી અનુવાદો પણ પ્રકાશિત થયેલા છે.

Comments