પરાજયને વિજયમાં પરિવર્તિત કરતી અનંત ચતુર્દશી

પરાજયને વિજયમાં પરિવર્તિત કરતી અનંત ચતુર્દશી
અનંત ચતુર્દશી એટલે વિષ્ણુ પૂજનનો દિવસ. આમ તો વિષ્ણુ ભગવાનને ભજવા માટે કોઈ નિશ્ચિત સમયની જરૂર નથી. વિષ્ણુ ભગવાનને હૃદયથી કોઈ પણ ઘડીએ પોકારવામાં આવે તો તેમની અનુકંપાનો અનુભવ થયા વગર રહેતો નથી, પણ અનંત ચતુર્દશીને વિધિવત્ કરવાનું અને અનંત સૂત્રને અનંત ચતુર્દશીના દિવસે ધારણ કરવાનું એક આગવું માહાત્મ્ય છે.
અનંત સૂત્ર પરાજયને વિજયમાં બદલીને ખોવાયેલ સુખ-શાંતિ ફરી જીવનમાં સ્થાપિત કરવામાં મદદરૂપ થાય છે.

Image result for અનંત ચતુર્દશી
ભાદરવા માસની સુદ પક્ષની ચૌદશને દિવસે મનાવવામાં આવતી અનંત ચતુર્દશીના વ્રત સાથે અનેક પૌરાણિક પાત્રોના અનુભવ પણ જોડાયેલા છે. પુરાણ અનુસાર કહેવાય છે કે જ્યારે પાંડવો જુગારમાં બધું જ હારી જાય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેમને અનંત ચતુર્દશી કરવાની સલાહ આપે છે. અર્જુન અને યુધિષ્ઠિરે આ વ્રત કરીને મહાભારતના યુદ્ધમાં વિજય મેળવીને તેમનું ખોવાયેલું રાજ્ય પાછું મેળવ્યું હતું.
અનંત ચતુર્દશીનું મહત્ત્વ
માણસ દુઃખી કે સુખી તેના કર્મના લીધે થાય છે. કુકર્મનું ફળ દુઃખ અને પરાજયની દરિદ્રતા રૂપે આપણે ભોગવવું પડતું હોય છે ત્યારે અનંત ચતુર્દશીનું વ્રત કુકર્મના ફળને એટલે કે આપણાં પાપને દૂર કરવાનું કામ કરે છે. વિષ્ણુ ભગવાન આ વ્રત કરનારને પાપોમાંથી મુક્તિ આપીને ખોવાયેલ સુખ-સમૃદ્ધિ પાછી આપે છે. દરેક વ્રત અને ઉપવાસ પાછળ કોઈ ને કોઈ મનોરથ જોડાયેલા હોય છે. અનંત ચતુર્દશી પાપમાંથી મુક્તિ આપીને મનોવાંછિત ફળ આપે છે.

Image result for અનંત ચતુર્દશી
વ્રતકથા
સત્યુગમાં એક સુમંતુ નામના મુનિ હતા. તેમની પુત્રી શીલા ખૂબ જ ગુણવાન અને સુંદર હતી. પુત્રી વિવાહયોગ્ય થતાં સુમંતુ નામના મુનિએ તેના વિવાહ કૌણ્ડિયમુનિ સાથે કર્યા. વિવાહ બાદ જ્યારે શીલા તેના પિયર જતી હતી ત્યારે રસ્તામાં સરોવર કિનારે કેટલીક સ્ત્રીઓને પૂજન કરીને એકબીજાના હાથમાં અનંત સૂત્ર (ચૌદ ગાંઠ અને ચંદનવાળી નાડાછડી) બાંધતાં જોઈ. આ બધી વિધિ જોઈને શીલાએ પણ વ્રત વિશે માહિતી મેળવી અને તે સ્ત્રીઓ સાથે તેણે પણ આ વ્રત ધારણ કરીને અનંત સૂત્ર બાંધ્યું. શીલાના જીવનમાં આ વ્રતની સકારાત્મક અસર તરત જ વર્તાઈ. તે જ્યારે પિયરથી પરત ફરી તો કૌણ્ડિય મુનિના ધન-ધાન્યમાં વૃદ્ધિ થઈ, પણ કૌણ્ડિય મુનિ અનંત સૂત્રને તેમની સફળતા માટેનું શ્રેય આપવા નહોતા માગતા. તેમણે પત્નીના હાથે
બાંધેલા અનંત સૂત્રને છોડીને અગ્નિમાં બાળી નાખ્યું. આ કૃત્યનો પ્રકોપ કૌણ્ડિય મુનિના જીવનમાં તરત જ વર્તાયો. થોડા જ સમયમાં દરિદ્રતાએ તેમને ઘેરી લીધા. કૌણ્ડિય મુનિને એમની ભૂલ સમજાઈ. તે પ્રાયશ્ચિત કરવા માટે અને અનંત ભગવાનનાં દર્શન માટે જંગલમાં ખાધા-પીધા વગર ફરવા લાગ્યા. જ્યારે તેમને ભગવાન અનંતનાં દર્શન ન થયાં ત્યારે નિરાશ થઈને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું, પણ એ જ સમયે એક બ્રાહ્મણ તેમની મદદે આવ્યો અને કૌડિણ્ય મુનિને ગુફામાં લઈ જઈને ચર્તુભુજાધારી અનંત પ્રભુ એટલે કે વિષ્ણુ ભગવાનનાં દર્શન કરાવ્યાં. પ્રાયશ્ચિત રૂપે ભગવાને કૌણ્ડિય મુનિને ચૌદ વર્ષ અનંત ચતુર્દશીનું વ્રત કરવાનો આદેશ આપ્યો. આ વ્રતથી કૌણ્ડિય મુનિની દરિદ્રતાના દૂર થઈ અને સમૃદ્ધિનો સૂરજ ફરી ઊગ્યો.
Image result for anant chaturdashi
વ્રતનું વિધાન
વહેલી સવારે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરવામાં આવે છે. શાસ્ત્રમાં વ્રતનો સંકલ્પ નદી કે સરોવર કિનારે કરવાનું વિધાન છે. ત્યારબાદ ઘરમાં સ્વચ્છ જગ્યાએ કળશનું સ્થાપન કરવામાં આવે છે. કળશ પર શેષનાગ પર બિરાજમાન વિષ્ણુ ભગવાનનું ચિત્ર મૂકવામાં આવે છે. તેની સાથે ચૌદ ગાંઠવાળું એક પવિત્ર સૂત્ર પણ મૂકવામાં આવે છે. 'ઓમ અનંતાય નમઃ' ના મંત્રથી ષોડશોપચારે કળશ, વિષ્ણુ ભગવાન અને અનંત સૂત્રનું પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ અનંત ભગવાનના આ સૂત્રને કાંડામાં બાંધવામાં આવે છે. પછી વ્રતકથા સાંભળવાનો ક્રમ આવે છે. અનંત સૂત્રને બાંધ્યા બાદ એક બ્રાહ્મણને ભોજન કરાવીને પછી ભોજન ગ્રહણ કરાય છે. અનંત દેવ એટલે કે ભગવાન વિષ્ણુ મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવીને ધન ધાન્યમાં વૃદ્ધિ કરે છે.

Image result for anant chaturdashi

Comments